એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા
અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના
દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને
રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.
‘તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ
દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ
જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું
કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં, ઘણુંબધું કરવા માગું છું.’
૨૦૧૫માં કોઈકે તેને સરકારી હૉસ્પિટલમાં જન્મેલા
ગલૂડિયાંઓમાંથી એક ગલૂડિયું પાળવાનું સૂચવ્યું અને ત્યાંથી શરૂ થઈ અનોખી યાત્રા
વિશે સ્નેહા કહે છે, ‘હું એક
ગલૂૂડિયાંને ઘરે લઈ આવી. એનું નામ હૅપી રાખ્યું. થોડા દિવસમાં હૅપી અમારા ઘરનો
અગત્યનો મેમ્બર બની ગયો. મને ખબર પાડી કે હૅપી સાથે જન્મેલા એના ભાઈ-બહેન જેને કોઈએ
અડૉપ્ટ નહોતાં કર્યાં એ બધાં મરી ગયાં. એ દિવસે મેં રિયલાઇઝ કર્યું કે આ જીવોને
આપણી કાળજીની કેટલી જરૂર છે. હૅપીને હું ન લાવી હોત તો કદાચ એ પણ...’
મળી નવી દિશા
તમારા જીવનમાં એક પ્રાણી આવે એ પછીથી આજુબાજુ તમને સતત
પ્રાણીઓ દેખાવા લાગે. સ્નેહા કહે છે, ‘હું ૨-૪ ડૉગીઝને ફીડ કરવા લાગી. એ પછીથી મને દર
ગલીકૂચીના નાકે પ્રાણીઓ મળવા જ લાગ્યાં અને એમ મારી ફોજ વધતી ચાલી. મારા ઘરની નજીક
વીટી સ્ટેશન પર લૉકડાઉનને લીધે કોઈપણ વ્યક્તિને જવાની મનાઈ હતી. પરંતુ મને લાગ્યું
કે અંદર કદાચ પ્રાણીઓ હોવાં જોઈએ. હું એવી સ્થિતિમાં પણ અંદર ગઈ ત્યારે ત્યાં
સ્ટેશન પર મને ૭-૮ કૂતરાઓ મળ્યા જે ખૂબ ભૂખ્યા હતા. લૉકડાઉન સમયે બધું જ બંધ
હોવાને કારણે આ પ્રાણીઓને ખાસ ખાવાનું મળતું ન હોવાથી તેમની હાલત બહુ ખરાબ હતી.’
આજની તારીખે પણ દરરોજ રાત્રે ૧૦ વગ્યાથી સ્નેહા એના ઘરેથી
નીકળે અને દર ગલી-ગલીમાં પશુઓને ખવડાવતી આગળ વધે. રાત્રે આ કામ કેમ કરે છે? એ પ્રશ્નનો જવાબ
આપતાં સ્નેહા કહે છે, ‘દિવસે આ બહાર
નીકળતા નથી. રાત્રે જ મળે. વળી એમાં કોઈ જખમી થઈ ગયું હોય તો એના દવાદારૂ કરું.
એને જરૂર પડે તો ઘરે લઈ આવું. એની દેખરેખ કરું. આ બધું એકલા હાથે પણ થઈ
શકે પરંતુ ૨૦૧૮માં મને એવો વિચાર આવેલો કે એક ટ્રસ્ટ ખોલવું જોઈએ.’
પ્રાણીઓના હક માટે લડવા અને એમની તકલીફોને દૂર કરવાના આશયથી
એણે જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા શરૂ કરી. જેમાં મુંબઈ આખાના ૧૪૦
ફીડર્સ જોડાયા. જે લોકો આ રીતે શેરી પ્રાણીઓની સંભાળ રાખે છે એવા લોકોનું આ ગ્રુપ
છે જે એકબીજાને કોઈ પણ પ્રકારનું પ્રાણીઓ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડે છે જેને
લીધે સામૂહિક રીતે પ્રાણીઓ માટે વિચારી શકાય અને પગલાં પણ લઈ શકાય.’
રેસ્ક્યુ
સ્નેહા જે પણ પ્રાણીઓને ખવડાવે છે એનો એ અંગત રીતે ખર્ચ કરે છે, પરંતુ પ્રાણીઓના ઇલાજ માટે એને ફન્ડ ભેગું કરવું પડે છે જેના માટે એ ટ્રસ્ટનો સહારો લે છે. રોડ પર રહેતી ગાયો સાથે થતા અન્યાય, ઍક્સિડન્ટ કેસિસ અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા આચરવાના કિસ્સાઓમાં સ્નેહાએ એફઆરઆઇ નોંધાવીને પ્રાણીઓને ન્યાય મળે એ માટે નૉન-સ્ટોપ મથે છે. ૫૦થી પણ વધુ પ્રાણીઓને રેસ્ક્યુ કરી ચૂકેલી સ્નેહાએ હાલમાં બિલાડીનાં ૩ અંધ બચ્ચાંઓને રેસ્ક્યુ કર્યાં હતાં. એ વિશે વાત કરતાં એ કહે છે, ‘આ ત્રણેય બચ્ચાંઓની આંખની જગ્યાએ કાણાં હતાં અને એ જગ્યાએથી પરુ વહેતું હતું. એ ૨૦-૨૫ દિવસના માંડ હશે. એમના માટે મેં સારામાં સારા સર્જ્યન શોધ્યા અને એમનો ઇલાજ ચાલુ કર્યો. દિવસના ત્રણ-ચાર વાર દવા લગાડી એમના પરુ સાફ કરવાના હતા. સર્જરી અને ઇલાજથી એક બચ્ચું દેખતું થઈ ગયું. એકની એક આંખ બચી અને ત્રીજું હજી આંધળું જ છે. જે જોવા લાગ્યું એને હું ફરી એ એરિયામાં છોડી આવી જ્યાંથી એ આવી હતી. બાકીનાં બન્ને મારા ઘરમાં જ છે. કોઈ સારી વ્યક્તિ મળશે તો એનું અડૉપ્શન કરાવી દઈશ એમ મેં વિચાર્યું છે.’
ક્લિનિક ખોલવું છે
ઘણા લોકો રોડ પર ઘાયલ પ્રાણીને જુએ છતાં હૉસ્પિટલ લઈ જતાં
નથી. એનું કારણ એ નથી કે લોકો નિર્દય છે. એમ જણાવતાં સ્નેહા ઉમેરે છે, ‘સમસ્યા એ છે કે
પ્રાણીઓ માટે સરકારી હૉસ્પિટલો આપણે ત્યાં ઘણી ઓછી છે અને એની ફૅસિલિટીઝ પણ સારી
નથી. પ્રાણીઓના પ્રાઇવેટ ક્લિનિકમાં જઈએ તો એક વખતના ૫૦૦-૨૦૦૦ રૂપિયાનો ખર્ચો તો
કંઈ ન કહેવાય. આટલો ખર્ચો કરીને શેરી કૂતરા-બિલાડાનો ઇલાજ કોણ કરાવે? મને લાગે છે કે
આપણને એક વચગાળાના ઉપાયની જરૂર છે. જ્યાં સારો ઇલાજ પણ થાય અને એ પણ મોંઘો ન હોય.
હું કોશિશ કરી રહી છું કે એક એવું ક્લિનિક ખોલું જે આ પ્રકારનું હોય. આશા છે કે
થોડા જ સમયમાં આ શક્ય બનશે.’
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો